મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં કેટલાક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ
આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ પ્રસિધ્ધ કરેલું જાહેરનામું
આણંદ, શુક્રવાર : રાજય ચૂંટણી આયોગ, ગુજરાત દ્વારા સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય ચૂંટણી/ પેટા ચૂંટણીઓનો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે.
તે મુજબ આણંદ જિલ્લાની ૦૩ નગરપાલિકાઓ (આંકલાવ, બોરીયાવી, ઓડ) ખાતે સામાન્ય ચૂંટણીનું મતદાન તથા ઉમરેઠ નગરપાલિકાની ૦૧ બેઠક (વોર્ડ નં.:૦૪) અને ખંભાત તાલુકા પંચાયતની ૦૫ બેઠક(૨૪-ઉદેલ-૨) પર પેટા ચૂંટણીનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ નિયત કરવામાં આવેલ છે.
જે અન્વયે મતદાનના દિવસે મતદાન મથકે મતદારો શાંતિથી તેમના મત નોંધાવી શકે તે માટે આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા મતદાન મથકની અંદર તથા મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં કોઈપણ વ્યક્તિને કેટલાક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યા છે.
આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ મતદાનના દિવસે મતદાન મથકની અંદર તથા મથદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં આવેલ વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, તેના ચૂંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય કોઈ વ્યક્તિને મત માટે પ્રચાર કરવા, મતદારોને ધાક ધમકી આપીને કે રંજાડીને મતદાન કરવા જતા અટકાવવા, કોઈ મતદારને મત આપવા આગ્રહપૂર્વક વિનંતી કરવા, અમુક ઉમેદવારને મત આપવા માટે કોઈ મતદારને સમજાવવા, કોઈ મતદારને ચૂંટણીમાં મત ન આપવા સમજાવવા, ચૂંટણીને લગતી (સરકારી નોટીસ સિવાયની) કોઈ નોટીસ કે નિશાની પ્રદર્શિત કરવા, સેલ્યુલર/મોબાઇલ ફોન, કોડલેસ ફોન, પેજર, વાયરલેસ સેટ અને અન્ય વિજાણું સંદેશાવ્યવહારના સાધનો લઈ જવા, વાહનો સાથે આવવા (અપંગ/અશક્ત વ્યકિતઓને લાગુ પડશે નહીં.) તેમજ મતદાન મથકમાં મતદાન માટે આવેલ મતદાર, ઉમેદવાર તથા ચૂંટણીપંચે અધિકૃત કરેલ વ્યકિત સિવાયની વ્યકિતઓને પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
આ જાહેરનામા અન્વયે મતદાન મથક ઉપર ફરજ બજાવતા કાયદો અને વ્યવસ્થા સંભાળતા અધિકારી, સીકયુરીટીના માણસો, ચુંટણી આયોગ દ્વારા નિયુકત ઓબઝર્વરશ્રીઓ તથા મતદાન કેન્દ્રના ઈ-ચાર્જ અધિકારીઓને માત્ર તેમની ફરજ પુરતી જ છુટ આપવામાં આવી છે.
આ હુકમનો ભંગ કરનાર કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
Leave a Reply